દેશસમાચાર

દેશમાં રસી બાદ 71નાં મોત, 163 હોસ્પિટલમાં દાખલ – NAFI પેનલની તપાસનું તારણ

કોરોનાની વેક્સિન લીધા બાદ કોઈનું મૃત્યુ થયું હોવાના કિસ્સા સામે આવ્યા બાદ રસીની કોઈ ગંભીર આડઅસર થાય છે કે કેમ તે ચકાસવા માટે સરકાર દ્વારા બનાવાયેલી પેનલની તપાસમાં બહાર આવ્યું છે કે રસી લીધા બાદ મોત થવાના મામલે વેક્સિન લેવાને કોઈ સીધું કનેક્શન નથી. દેશમાં રસી લીધા બાદ કોઈને ગંભીર રિએક્શન થયું હોય તેવા કોઈ કેસ હજુ સુધી સામે નથી આવ્યા. જોકે, રસી લીધા પછી 163 લોકોને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા છે, જ્યારે 71 લોકોના મોત થયા છે.

નેશનલ એડવર્સ ઈવેન્ટ્સ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (એનએઈએફઆઈ) કમિટિએ વેક્સિન લીધા બાદ મોત થયાના 71 કેસોની તપાસ કરી હતી. તેના એક અધિકારીના જણાવ્યા અનુસાર, તમામ મૃતકોના પીએમ કરવામાં આવ્યા હતા. પીએમ રિપોર્ટ ઉપરાંત, રસી લેનારની ડિસ્ચાર્જ સમરીના અભ્યાસ બાદ એવું સામે આવ્યું છે કે રસી લીધા બાદ મોત થવાની ઘટના માત્ર સંજોગ હતી, જેને રસી સાથે ખરેખર કોઈ લેવાદેવા નથી.

નેશનલ ટાસ્ક ફોર્સ ઓન કોવિડના મેમ્બર એનકે અરોરાએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ દેશમાં રસી લેવાના કારણે કોઈનું મોત થયું હોવાની કોઈ સીધી લિંક નથી મળી. જેટલા પણ લોકોના વેક્સિનેશન બાદ મોત થયા છે તેઓ અગાઉથી હાર્ટ, બ્રેઈન, કિડની, બીપી કે શુગરની પ્રોબ્લેમ ધરાવતા હતા. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે દેશમાં વેક્સિનને કારણે બ્લડ ક્લોટિંગના પણ કોઈ કેસ હજુ સુધી નથી મળ્યા.

આ ઉપરાંત, રસી લીધા બાદ લોહીના ગઠ્ઠા થઈ જતાં હોવા અંગેના પણ કોઈ પુરાવા હજુ સુધી નથી મળ્યા. ભારતમાં બ્લડ ક્લોટિંગની કોઈ પ્રોબ્લેમ નથી થઈ. એનએઈએફઆઈ દ્વારા અત્યારસુધી જેટલા પણ કેસ ચકાસવામાં આવ્યા છે તેમાંથી એકેયમાં વેક્સિન લીધા બાદ બ્લડ ક્લોટિંગ થયું હોવાની કોઈ વિગતો સામે નથી આવી. ઉલ્લેખનીય છે કે, જર્મની, ફ્રાંસ, ઈટાલી અને સ્પેન દ્વારા એસ્ટ્રાઝેનેકા/ઓક્સફોર્ડ વેક્સિનને બ્લડ ક્લોટિંગનું કારણ આપીને તેના ઉપયોગ પર રોક લગાડી દેવામાં આવી છે.

વેક્સિનેશન બાદ જે 71 લોકોના મોત થયા છે, તેમાંથી 70 લોકોએ કોવિશીલ્ડનો ડોઝ લીધો હતો, જ્યારે એક જ મૃતકને કોવેક્સિનનો ડોઝ અપાયો હતો. જોકે, સરકારનું કહેવું છે કે આમાં કંઈ અસામાન્ય નથી, કારણકે હાલ ચાલી રહેલા વેક્સિનેશનમાં કોવિશીલ્ડનો વપરાશ કોવેક્સિનની સરખામણીમાં નવ ગણો વધારે છે. નીતિ આયોગના મેમ્બર વી.કે. પૉલના જણાવ્યા અનુસાર, દેશમાં વેક્સિનેશનને લગતી તમામ માહિતીનું પદ્ધિતસરનું ટ્રેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યારસુધી વેક્સિનેશનને લીધે કોઈને ગંભીર આડઅસર નથી થઈ. કોવિશીલ્ડ વેક્સિનેશન પણ સરકાર દ્વારા ચાલુ જ રખાશે, અને આ રસીને લઈને કોઈ ચિંતા કરવાની વાત નથી.

આ મામલે પબ્લિક હેલ્થ એક્સપર્ટ્સે વધુ માહિતી અને પારદર્શકતાની માગ કરી છે. ઓલ ઈન્ડિયા ડ્રગ એક્શન નેટવર્કના કો-કન્વિનર માલિની આઈસોલાએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું હતું કે આ અંગે જે પણ તપાસ કરવામાં આવી છે, તેની વિગતો જાહેર કરવી જોઈએ. બે કેસોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, વેક્સિન લીધા બાદ ઓડિશામાં 27 વર્ષના એક સિક્યોરિટી ગાર્ડના પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો થયો હતો, અને તેનું મોત થયું હતું જ્યારે તેલંગાણામાં 37 વર્ષના એક આંગણવાડી કાર્યકરને વેક્સિન લીધા બાદ ચાર સપ્તાહ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

[quads id=1]

Related Articles

Back to top button