- મીંઢળ બંધાયા બાદ વર હોય કે વધુ માઠા પ્રસંગોમાં સંમલીત કરવામાં આવતા નહીં હોવાની પ્રણાલીને તોડવામાં આવી
રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે દર વર્ષે કાળી ચૌદસના દિવસે જુદા-જુદા સ્મશાનમાં જઇ ભજીયા ખાવાનો કાર્યક્રમ રાખવામાં આવતો હોય છે. તો વર્ષ દરમિયાન અનેક અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે નવીનતમ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ત્યારે રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના રામોદમાં લગ્ન બાદ નવદંપતીને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. તો ડીજેના તાલે ભૂતડા સાથે ફુલેકુ પણ કાઢવામાં આવ્યું હતું.
વાતચીતમાં વિજ્ઞાન જાથાના ચેરમેન અને એડવોકેટ એવા જયંત પંડ્યાએ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, રામોદના રાઠોડ પરિવાર ના દિકરા ની જાન ગોંડલ તાલુકાના મોવિયા ગામના સુરેશભાઈને ત્યાં ગઈ હતી. મોવિયા ગામની દીકરીને વરિયા બાદ વરરાજા સહિત જાન રામોદ ગામે પરત આવી હતી. જાન પરત આવતાની સાથે જ ભૂતડાના કપડા પહેરી અમારા કાર્યકર્તાઓ ફૂલેકામાં જાેડાયા હતા.
જે પ્રકારે દેવાધિદેવ મહાદેવની જાનમાં ભૂત પ્રેત સહિતનાઓ જાેડાયા હોવાની કથા પ્રચલિત છે. તે પ્રકારનો માહોલ રામોદ ગામે અંધશ્રદ્ધાને લોકોના મનમાંથી જડમુળમાંથી કાઢી નાખવા માટે યોજવામાં આવ્યો હતો. અંદાજિત રાત્રિના ૧૨ વાગ્યા સુધી નવદંપતી સહિત તેમના પરિવારજનો તેમજ ગ્રામજનો સ્મશાનમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સૌથી મહત્વની વાત તો એ છે કે મીંઢોળ બંધાયા બાદ આપણે ત્યાં વર હોય કે વધુ તેમને માઠા પ્રસંગોમાં સંમલીત કરવામાં નથી આવતા. પરંતુ રાઠોડ પરિવાર ના દીકરા ના લગ્ન યોજાય તે પૂર્વે જ તેના દાદીમાનું અવસાન થયું હતું. ત્યારે મીંઢોળ બાંધ્યા બાદ પણ યુવાને પોતાના દાદીમાને અંતિમયાત્રા સમયે કાંધ આપી હતી. તેમજ અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ તમામ લોકો લગ્ન જેવા શુભ પ્રસંગ માટે ની તૈયારીઓમાં લાગી ગયા હતા. આમ, વધુ એક વખત રાજકોટ વિજ્ઞાન જાથા દ્વારા લોકોના મનમાં રહેલ અંધશ્રદ્ધાને દૂર કરવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આગામી સમયમાં વિજ્ઞાન જાથા દ્વારા એક નવો પ્રયાસ પણ કરવામાં આવશે. જે પ્રયાસ અંતર્ગત નવદંપતી ને ન માત્ર સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે. પરંતુ તેઓ પોતાની સુહાગરાત પણ સ્મશાનમાં જ મનાવશે.